ગઝલ નામ સુણતાં જ ઘાયલ સાહેબ યાદ તો આવે જ છે; પણ આ ગઝલ વાંચતાં સવિષેશ સ્મૃતિ થઈ આવે છે.
અમૃત ઘાયલ યાદ આવતાં ગઝલ ગવાઈ જાયે છે
આપની અલવિદાએ ગુર્જર ગઝલ ઘવાઈ જાયે છે
રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના?
નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના,
બિન્દુ મહીં ડૂબીને સિન્ધુ તરી જવાના!
કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના?
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના!
છો ને ફર્યા, નથી કંઈ દી’થી ડરી જવાના!
એ શું કરી શક્યા છે, એ શું કરી જવાના!
મનમાં વિચાર શું છે? અવિરામ કંઈ દીપક છે
પ્રકાશ આંધીઓમાં પણ પાથરી જવાના!
એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે,
હર જખ્મને નજરથી ટાંકા ભરી જવાના!
સ્વયં વિકાસ છીંએ, સ્વયં વિનાશ છીંએ!
સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના!
સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીંએ!
દીપક નથી અમે કૈં ઠાર્યા ઠરી જવાના!
અય કાળ, કંઈ નથી ભય, તું થાય તે કરી લે,
ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના!
દુનિયા શું કામ ખાલી અમને મિટાવી રહી છે?
આ ખોળિયું અમે ખુદ ખાલી કરી જવાના.
અમૃત ‘ઘાયલ’
સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઇ જાયે છે
ગમે તેવું દુઃખી હો, પણ જીવન જીવાઇ જાયે છે.
હૃદયના દર્દની વાતો કદી છાની નથી રહેતી
હૃદય ગભરાય છે ત્યારે નયન ભીંજાઇ જાયે છે.
સમય બદલે તો બદલે, પણ પ્રણય રંગો નહીં બદલે
હૃદય રંગાઇ જાયે છે તો બસ રંગાઇ જાયે છે.
મુસીબતના દહાડા એ કસોટીના દહાડા છે.
છે પાણી કેટલું કોના મહીં જોવાઇ જાયે છે.
જીવન સારું જીગરની આહ થી ફૂંકી દઉં ‘ઘાયલ’
કદીક મારા ઉપર મને ય એવી ખાઇ જાયે છે.
- અમૃત ઘાયલ