અકબરઅલી જસદણવાળા (akabarali jasadanavala)

જીવનકાળ: જાન્યુઆરી 10, 1910- એપ્રિલ 21, 1996

       

કરી લઉં છું

       

મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું;

પ્રસંગોપાત્ત  જીવનમાં પરિવર્તન  કરી લઉં છું.

        

સમજપૂર્વક  સમષ્ટિનું સમાલોચન કરી લઉં છું;

જીવનને હું વલોવી આત્મસંશોધન કરી લઉં છું.

       

મનોબળથી મનોવૃત્તિ ઉપર શાસન કરી લઉં છું;

નયન નિરબળ કરીને  રૂપનું દર્શન કરી લઉં છું.

      

નિરંતર શ્વાસ પર જીવનનું અવલંબન નથી હોતું,

બહુધા  હું  હ્રદયમાં  એક  આંદોલન  કરી લઉં છું.

      

અમે પાગલ, અમારે ભેદ શો ચેતન-અચેતનમાં,

પ્રતિમા હો કે પડછાયો હું આલિંગન કરી લઉં છું.

         

સમય ક્યારે વિસામો ખાય છે  ’અકબર’ના જીવનમાં?

વિસર્જન થાય છે નિત નિત નવું સર્જન કરી લઉં છું.

        

અકબરઅલી જસદણવાળા