Jhaverchand Meghani: Documentary by Gujarat Governament.
Official website for Jhaverchand Meghani at http://jhaverchandmeghani.com/
'સમબડિઝ ડાર્લિંગ'નો અનુવાદ નહીં એનું રૂપાંતર મેઘાણી અદભુત રીતે કરે છે. ભાષાંતર માટે એમ કહેવાય છે કે એ સ્ત્રી જેવું છે. સુંદર હશે તો એ પ્રામાણિક નહીં હોય અને પ્રામાણિક હશે તો એ સુંદર નહીં હોય, મેઘાણી એક એવી વિરલ પ્રતિભા છે જે સુંદર, વફાદાર ભાષાંતર કરી શકયા છે અને એનું એક માત્ર ઉદાહરણ તે કોઇનો લાડકવાયો રૂપાંતર છે.
રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે;
ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે.
કોની વનિતા, કોની માતા, ભગિનીઓ ટોળે વળતી,
શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી;
મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી.
થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને,
શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને;
નિજ ગૌરવ કેરે ગાને જખમી જન જાગે અભિમાને.
સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો,
છેવાડો ને એક્લવાયો અબોલ એક સૂતેલો;
અણપૂછયો અણપ્રીછેલો કોઇનો અજાણ લાડીલો.
એનું શિર ખોળામાં લેવા કોઇ જનેતા ના'વી;
એને સીંચણ તેલ-કચોળા નવ કોઇ બહેની લાવી;
કોઇના લાડકવાયાની ન કોઇએ ખબર પૂછાવી.
ભાલે એને બચીઓ ભરતી લટો સુંવાળી સૂતી,
સન્મુખ ઝીલ્યાં ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી;
કોઇનો લાડકવાયાની આંખડી અમ્રુત નીતરતી.
કોઇના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં,
આખરની સ્મ્રતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં;
આતમ-લપક ઓલાયો, ઓષ્ટનાં ગુલાબ કરમાયાં.
કોઇનાં એ લાડકડા પાસે હળવે પગ સંચરજો,
હળવે એનાં હૈયા ઊપર કર-જોડામણ કરજો;
પાસે ધૂપસળી ધરજો, કાનમાં પ્રભુપદ ઉચરજો!
વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે,
એને ઓષ્ટ-કપોલે-ભાલે ધરજો ક હુંબન ધીરે;
સહુ માતા ને ભગિની રે! ગોદ લેજો ધીરે ધીરે.
વાંકડિયા એ ઝુલ્ફાંની મગરૂબ હશે કો માતા,
એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા;
રે! તમ ચુંબન ચોડાતાં પામશે લાડકડો શાતા.
એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી,
એની રક્ષા કાજા અહનિરશ પ્રભુને પાયે પડતી;
ઉરની એકાંતે રડતી વિજોગણ હશે દિનો ગણતી.
કંકાવટીએ આંસુ ધોળી છેલ્લું તિલક કરતાં,
એને કંઠ વીંટાયાં હોશે કર બે કંકણવંતા;
વસમાં વળામણાં દેતાં બાથ ભીડી બે પળ લેતાં.
એની કૂચકદમ જોતી અભિમાન ભરી મલકાતી,
જોતી એની રૂધિર - છલક્તી ગજગજ પ્હોળી છાતી;
અધબીડ્યાં બારણિયાંથી રડી કો હશે આંખ રાતી.
એવી કોઇ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,
એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢે;
કોઇના લાડકવાયાને ચૂમે પાવકજ્વાલા મોઢે.
એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,
એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી;
લખજો: 'ખાક પડી આંહી કોઇના લાડકવાયાની'.
- ઝવેરચંદ મેઘાણી
સ્વાધીનતા કાજે શૂરતા પ્રગટાવતું / આઝાદી માટે આહલેક ગજાવતું ગૂર્જરજનોનું જાણીતું ને માનીતું ગીત
કસુંબીનો રંગ
લાગ્યો કસુંબીનો રંગ -
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !
જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ… રાજ..
બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ… રાજ..
દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ
સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ… રાજ..
ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ
વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ… રાજ..
નવલી દુનિયા કેરા સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ… રાજ..
પીડિતની આંસુડાધારે - હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ
શહીદોના ધગઘગતા નિ:શ્વાસે નિ:શ્વાસે સળગ્યો કસુંબીનો રંગ … રાજ..
ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ
બિસ્મિલ બેટાંઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ … રાજ ..
ઘોળી ઘોળી પ્યાલાં ભરિયા : રંગીલા હો! પીજો કસુંબીનો રંગ
દોરંગા દેખીને ડરિયાં : ટેકીલાં હો! લેજો કસુંબીનો રંગ … રાજ ..
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ -
લાગ્યો કસુંબીનો રંગ !
ઝવેરચંદ મેઘાણી
જન્મ સ્થળ ચોટીલા( જિ: સુરેન્દ્રનગર)-વતન : બગસરા( જિ: અમરેલી)
અવસાન 9 માર્ચ 1947
માતા ધોળીમા
પિતા કાળીદાસ
ભાઇ લાલચંદ, પ્રભાશંકર
લગ્ન 1) દમયન્તી – 1922 2) ચિત્રાદેવી – 1934
બાળકો પુત્રી – ઇન્દુ, પદ્મલા, મુરલી પુત્ર–મહેન્દ્ર, મસ્તાન, નાનક, વિનોદ, જયન્ત, અશોક
અભ્યાસ મેટ્રિક –1912 ; બી.એ.- 1917 –શામળદાસ કોલેજ, ભાવનગર
વ્યવસાય 1918-21 કલકત્તામાં એલ્યુમિનીયમ કારખાનામાં મેનેજર ; 1922- ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકના તંત્રીમંડળમાં; 1936-45 ફુલછાબમાં તંત્રી
જીવન ઝરમર 1930- સત્યાગ્રહ સંગ્રામ માટે રચેલાં શૌર્યગીતોના સંગ્રહ ‘ સિંધુડો’ માટે બે વર્ષ કારાવાસ; અદાલતમાં ‘છેલ્લી પ્રાર્થના’ કાવ્ય ગાયું; સાબરમતી જેલમાં ‘કોઇનો લાડકવાયો’ કાવ્ય લખ્યું . 1931- ગોળમેજી પરિષદમાં જતા ગાંધીજીને સંબોધીને ‘ છેલ્લો કટોરો’ કાવ્ય લખ્યું; 1933- રવિન્દ્રનાથ ટાગોર સાથે મિલન; 1941- શાંતિનિકેતનમાં લોકસાહિત્ય વિશે વ્યાક્યાનો આપ્યાં; 1946- ગુજરાતી સાહિત્ય પરિષદના સોળમા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ
રચનાઓ કાવ્યસંગ્રહ -6; નવલકથા-13;નવલિકા સંગ્રહ – 7; નાટક ગ્રંથ- 4; લોકકથા સંગ્રહ –13;લોકસાહિત્ય – વિવેચન/ સંશોધન – 9; સાહિત્ય વિવેચન – 3; જીવન ચરિત્ર- 13; ઇતિહાસ – 6
મુખ્ય રચનાઓ તુલસી ક્યારો- નવલકથા; સૌરાષ્ટ્રની રસધાર; યુગવંદના, રવીન્દ્રવીણા- કાવ્ય ; સોરઠી સંતવાણી- લોકગીતો
સન્માન 1929 – રણજિતરામ સુવર્ણ ચંદ્રક; 1946 – મહીડા પારિતોષિક
સાભાર ગુર્જર સાહિત્ય ભવન - અમૃતપર્વ યોજના
(Thanks: ગુજરાતી સારસ્વત પરિચય )