બાલમુકુન્દ દવે (Baalmukund Dave)

જીવનકાળ: માર્ચ 7, 1916- ફેબ્રુઆરી 28, 1993         
· Filed under ગુજરાતી કવિતા (Gujarati Kavita)kavilok / કવિલોક

શ્રાવણ નીતર્યો

      

આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી
પેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઈ ઝીલો જી.
આ કપૂર-કાયા સરી જશે કોઈ ઝીલો જી,
પેલા ઊડી ચાલ્યા ધૂપ હો કોઈ ઝીલો જી.

આ જલધારામાં ઝૂલતી કોઈ ઝીલો જી
પેલી તૂટે મોતનમાળ હો કોઈ ઝીલો જી.
આ લટ લહેરાતી લળી લળી કોઈ ઝીલો જી
પેલું કોણ હસે મરમાળ? હો કોઈ ઝીલો જી.

આ નથી ટપકતાં નેવલાં કોઈ ઝીલો જી
આ વરસે અમરત-મેહ હો કોઈ ઝીલો જી.
આ સમણાં કેરા કરા પડે કોઈ ઝીલો જી
આ નરદમ વરસે નેહ હો કોઈ ઝીલો જી.

આ ચળકે વાદળ-તલાવડી કોઈ ઝીલો જી
એની તડકે બાંધી પાળ હો કોઈ ઝીલો જી.
આ દિન વહી ચાલ્યો સુહામણો કોઈ ઝીલો જી
આ રાત ચલી રઢિયાળ હો કોઈ ઝીલો જી.

આ દૂધે  ધોયા  ડુંગરા  કોઈ  ઝીલો જી
પેલી ઝરણાંની વણજાર હો કોઈ ઝીલો જી.
આ જતિ-સતીનાં તપ રેલે કોઈ ઝીલો જી
પેલા શિવલોચન-અંબાર હો કોઈ ઝીલો જી.

       

બાલમુકુન્દ દવે

જીવનકાળ: માર્ચ 7, 1916- ફેબ્રુઆરી 28, 1993